ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 એપ્રિલ 2021 (13:08 IST)

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વડાપ્રધાન મોદીને પત્ર લખીને આંશિક લૉકડાઉન કરવાની માંગ કરી

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણની હવે કોઈ મર્યાદા રહી નથી. ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વડાપ્રધાન મોદીને મહામારીને લઈને સ્ફોટક પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા એસોસિએશને આંશિક લૉકડાઉન લગાવવાની માંગ કરી છે. તે ઉપરાંત 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.  ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે હાલમાં કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે વેક્સિન જ એક માત્ર ઉપાય છે.

પત્રમા એસોસિએશન પત્ર દ્વારા સરકારને જણાવ્યું છે કે રાજ્યમાં દરેક જગ્યાએ વેક્સિન સેન્ટર ઉભા કરીને વોક ઈન વેક્સિનની વ્યવસ્થા કરવામાં આવે. પ્રાઈવેટ હોસ્પિટલ, ક્લિનિક, મોટી હોસ્પિટલ અને તમામ ડૉક્ટર્સને વેક્સિન આપવાની મંજરી આપવામાં આવે. રાજ્યમાં વેક્સિનેશનને યોગ્ય બનાવવા માટે દરેક જિલ્લામાં કોવિડ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે. જેથી વેક્સિન યોગ્ય રીતે થઈ શકે. ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 3 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 3160 નવા કેસ નોંધાયા છે અને 2018 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાના 15 દર્દીઓના કારણે મોત થયા છે. સુરતમાં 7, અમદાવાદમાં 6, ભાવનગર અને વડોદરામાં 1-1 મળી કુલ 15 દર્દીના મોત થયાં છે. આ પહેલા 8 ડિસેમ્બરે 15 દર્દીના મોત થયા હતા. આમ લગભગ 4 મહિને ફરી 15 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4581એ પહોંચ્યો છે. જ્યારે રિક્વરી રેટ 93.52 ટકા થયો છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 16 હજારને પાર થઈ ગયો છે.રાજ્યમાં રસી લેનારા લોકોની સંખ્યા 75 લાખને પાર કરી ગઇ છે. જેમાં પહેલો ડોઝ લેનારા લોકોની સંખ્યા 67 લાખની વધારે છે જ્યારે બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા 8 લાખથી વધારે છે. સોમવારે એક જ દિવસમાં 3 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી હતી. રાજયના 23 મંત્રી પૈકી 19 મંત્રીએ વેક્સિન લઇ લીધી છે. સરકારના દાવા મુજબ, હજુ સુધી રાજ્યમાં એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર થઇ નથી. સોમવારે અમદાવાદ શહેરમાં 25 હજારથી વધારે લોકોને રસી અપાઇ હતી જ્યારે સુરતમાં સૌથી વધારે 53 હજારથી વધારે લોકોને રસી આપવામાં આવી હતી. સોથી ઓછું રસીકરણ ડાંગમાં 21 હજાર અને બોટાદમાં 41 હજાર લોકોને કરવામાં આવ્યું છે.