1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 મે 2018 (10:28 IST)

રાજકોટમાં જમીન મુદ્દે દલિત પરિવારના 8થી વધુનો આત્મવિલોપનનો પ્રયાસ

રાજકોટમાં નવા રેસકોર્સ પાસે જમીન મુદ્દે દલિત પરિવારના 8 જેટલા લોકોએ શરીરે કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો,  પોલીસે તેમને રોકી અટકાયત કરી લીધી હતી. હાલ તમામની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશને લઇ જવામા આવ્યાં છે. દલિત પરિવારની જમીન સરકારે અન્ય કોઇને આપી દેવાનો આક્ષેપ દલિત પરિવારે કર્યો હતો અને સરકાર દલિતોને જીવવા નહીં દે તેવા આક્ષેપો કર્યા હતા. જો પોલીસ અહીં હાજર ન હોત તો મોટી ઘટના સર્જાઇ જાત. જો કે કેરોસીન છાંટ્યા બાદ કાંડી ચાપે તે પહેલા જ તમામની અટકાયત કરી લેતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

બસપાના પૂર્વ જિલ્લા પ્રમુખ અને સામાજીક કાર્યકર મહેશ પરમારે સોશિયલ મીડિયામાં શેર કરી કહ્યું હતું કે, પૂર્વજોના વંશની 1966-67ના કબ્જાવાળી જમીન રૈયા સર્વે નં. 318 ખેતીની હોવા છતાં અમને આપી નથી. હાલ કલેક્ટર પાસે અનેક વખત માગણી કરી છે. કોર્ટમાં પણ કેસ પેડિંગ છે, છતાં આ જમની સ્વામિનારાયણ સંપ્રદાયને આપી દીધાનો આક્ષેપ કર્યો હતો અને જમીન પર બળજબરીપૂર્વક કબ્જો કરી લીધો હતો. આ જમીન નહીં છોડે તો પરિવારના 20 જેટલા સભ્યો સામૂહિક આત્મવિલોપન કરશે તેવું જણાવ્યું હતું. જેના ભાગરૂપે આજે 8થી વધુ લોકો ત્યાં પહોંચ્યા હતા અને શરીર પર કેરોસીન છાંટી કાંડી ચાપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પહેલા જ પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.