શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (09:56 IST)

ઉત્તરાયણના તહેવારોના સંદર્ભમાં જાહેરહિતમાં મુકાયા કેટલાક પ્રતિબંધો, ચાઇનીઝ તુક્કલ સળગાવી કે ઉડાડવા નહી

દાહોદ જિલ્લામાં આગામી ઉત્તરાયણના પર્વને લઇને ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે તહેવારના ઉત્સાહમાં કોઇને નુકશાન ન થાય એ જોવું પણ જરૂરી છે. ચાઇનીઝ તુક્કલોથી આગ લાગવાના બનાવો, પ્લાસ્ટીક-સિન્થેટીક ચાઇનીઝ દોરીથી પક્ષીઓની સાથે સાથે માણસો પણ જાન ગુમાવે છે. 
 
આ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. આગામી ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ તા. ૫ જાન્યુઆરીથી આગામી તા. ૨૦ જાન્યુઆરી સુધી કેટલાંક પ્રતિબંધો મૂકયા છે. આ હુકમનો ભંગ કરનાર સામું કાયદેસરની કાર્યવાહી કરાશે.
 
જાહેરનામા મુજબ, પતંગ ચગાવવા માટે કાચનો પાવડર ઘસીને તૈયાર કરેલી પ્લાસ્ટીકની કે સિન્થેટીક ચાઇનીઝ બનાવટની દોરી-માંઝાનો ઉપયોગ કરવો નહી. સ્કાય લેન્ટર્ન એટલે કે ચાઇનીઝ તુક્કલ સળગાવી કે ઉડાડવા નહી. વીજળીના તાર પર લંગર નાખીને પતંગ કે દોરી ઉતારવાનો પ્રયાસ કરવો નહી.
 
સવારના ૬ થી ૮ વાગ્યા તેમજ સાંજના ૫ થી ૭ વાગ્યા દરમિયાન આકાશમાં પક્ષીઓની અવરજવર વધુ રહેતી હોવાથી આ સમયગાળા દરમિયાન પતંગ ચગાવવા કે ઉડાવવા નહી. પતંગ તથા દોરા વેચવાનો ધંધો કરનાર વેપારીઓ કે અન્ય કોઇ પણ વ્યક્તિએ પ્લાસ્ટીકની કે સિન્થેટિક ચાઇનીઝ દોરી તથા સ્કાય લેન્ટર્ન –ચાઇનીઝ તુક્કલની આયાત, સગ્રહ કે વેચાણ કરવું નહી.