શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (13:46 IST)

ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં સ્ટાફ ક્વાટર્સમાં સ્ટાફ બોયએ ગળાફાંસો ખાધો

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલા સ્ટાફ ક્વાર્ટર્સમાં આજે મંગળવારે સવારે સિવિલના સ્ટાફ બોયે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. જેથી હાલમાં સેકટર - 7 પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કર્યો છે.

ગાંધીનગર સિવિલના સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ નડિયાદનાં ફેડરીક ચંદુભાઈ પરમારે આશરે બે વર્ષ અગાઉ નર્સિંગ ઈન્ચાર્જ મમતા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જે આજે મંગળવારે સવારે સવારે ફરજ પર હાજર થવા માટે સાસરી અમદાવાદથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ આવ્યા હતા.એ દરમિયાન તેઓ સાથી કર્મચારીઓને ચા-નાસ્તો કરવાનું કહીને કપડાં બદલવા માટે પોતાના ક્વાટર્સ-12/6માં ગયા હતા. જો કે ઘણીવાર સુધી ફેડરીક પરત નહીં ફરતા સાથી સ્ટાફ તેમને બોલાવવા ગયા હતા. પરંતુ દરવાજો અંદરથી બંધ હતો. ઘણીવાર સુધી દરવાજો ખખડાવ્યા પછી પણ અંદરથી કોઈ પ્રત્યુત્તર નહીં મળતાં સ્ટાફે કંઈક અજુગતું બન્યાની શંકા રાખી દરવાજો તોડી નાખ્યો હતો.

ફેડરીકે રૂમમાં હુકમાં રૂમાલ વડે ગળાફાંસો ખાધેલું દ્રશ્ય જોઈને સાથી કર્મચારી સ્તબ્ધ થઈ ગયો હતો. જેની જાણ થતાં અન્ય સ્ટાફના કર્મચારીઓ પણ ત્યાં દોડી ગયા હતા. બાદમાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતાં સેકટર-7 પોલીસ સિવિલ સ્ટાફ ક્વાટર્સ દોડી ગઈ હતી. હાલમાં પોલીસ દ્વારા મૃતકની લાશનું પંચનામું, પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે અને તેમણે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા વધુ પૂછતાછ શરૂ કરાઈ છે.