1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2023 (11:18 IST)

અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર, 30 જાન્યુઆરીથી થશે મોટો ફેરફાર

ગત વર્ષે ઓક્ટોબરમાં ગુજરાત મેટ્રો શરૂ થયા બાદ તે અહીંના લોકોની લાઈફલાઈન બની ગઈ છે. તે જ સમયે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRCL) એ અમદાવાદ મેટ્રો રેલ્વેના સમયપત્રકમાં કામચલાઉ ફેરફાર કર્યો છે. ગુજરાત મેટ્રો દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, 30 જાન્યુઆરી, 2023થી અમદાવાદ મેટ્રોના મુસાફરીના સમયમાં 4 કલાકનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 
ગુજરાત મેટ્રો રેલ કંપનીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે અમદાવાદ મેટ્રો ફેસ-૧નું સમયપત્રક, જે હાલ સવારે ૯થી રાત્રે 8 વાગ્યા સુધીનું છે, તેને વધારવા માટે વિવિધ રજૂઆતો મળી છે. આ સંદર્ભમાં વિશેષ કરીને વિદ્યાર્થીઓ તથા નોકરિયાતોને સવલત રહે તે ધ્યાને લેતા ગુજરાત મેટ્રો રેલ દ્વારા તારીખ 30--1-23ના રોજથી અમલમાં આવે તે રીતે, હાલના 9:00 થી 8:00 ની સમય મર્યાદા વધારીને સવારે 7:00 થી રાત્રે 10:00 સુધી હંગામી ધોરણે કરવાનો નિર્ણય કરેલ છે. 
 
હાલ માંગ જોતા પૂર્વ-પશ્ચિમમાં દર 18 મિનિટે અને ઉત્તર-દક્ષિણમાં દર 25 મિનિટે ટ્રેનની વ્યવસ્થા છે, જેને મુસાફરોની સંખ્યા જોતાં તેનો દર 15 મિનિટ (પીક સમય)ના ગાળા સુધી કરવાની તૈયારી રાખેલ છે. આ રીતે એક મહિના માટે ટ્રેન સેવા ચલાવીને ખરેખર જરૂરિયાત અંગે અભ્યાસ કરીને આગળના સમયપત્રકનો નિર્ણય લેવામાં આવશે.