શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By તેજલ પ્રજાપતિ|
Last Modified: મંગળવાર, 18 ઑક્ટોબર 2022 (01:49 IST)

ભાજપની ગૌરવયાત્રાનો ગુજરાતમાં વિરોધ કેમ થઈ રહ્યો છે?

Why is there opposition to BJP's Gaur Yatra in Gujarat?
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ હજુ સુધી જાહેર થઈ નથી, પણ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. સત્તાધારી ભાજપે સમગ્ર ગુજરાતને આવરી લેતી ગૌરવયાત્રા શરૂ કરી છે, જેનો કેટલીક જગ્યાએ વિરોધ પણ થઈ રહ્યો છે.
 
ભાજપની આ ગૌરવયાત્રાનો જનતા અને અર્બુદાસેના જેવાં સંગઠનોએ વિરોધ કર્યો હતો.
 
આ વખતની ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસની સાથે હવે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. સામાન્ય રીતે ગુજરાતમાં બે પક્ષો વચ્ચે ચૂંટણીમાં જંગ જામતો હોય છે.
 
જોકે આ વખતે અરવિંદ કેજરીવાલની પાર્ટી ગુજરાતમાં "સરકાર રચવાની આશા" સાથે ઊતરી છે.
 
મીડિયા રિપોર્ટ અને લોકો સાથેની વાતચીત પરથી પણ જણાઈ રહ્યું છે કે આપની ચર્ચા પણ ખાસ્સી એવી થઈ રહી છે.
 
આમ આદમી પાર્ટી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેનો પગપેસારો વધારવાની કોશિશ કરી રહી છે.
 
એવા સમયે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપની ગૌરવયાત્રાનો થયેલો વિરોધ શું સૂચવે છે? શું ભાજપ અંગે જનતામાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે?
 
ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ મહેસાણાથી ગૌરવયાત્રાની શરૂઆત કરાવી
 
ગૌરવયાત્રાનો ક્યાં-ક્યાં વિરોધ થયો?
 
મોરબીની ગૌરવયાત્રા દરમિયાન વિરોધ
  
ભાજપની ગૌરવયાત્રા દરમિયાન મોરબી અને ઈડરમાં મહિલાઓ અને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. ઈડરમાં અર્બુદાસેના પણ વિરોધ કરવા ઊતરી આવી હતી.
 
કેટલાંક સ્થળોએ ગૌરવયાત્રાને નબળો પ્રતિસાદ મળ્યો હોવાના પણ અહેવાલો પ્રકાશિત થયા હતા.
 
મોરબી જિલ્લાના વાંકાનેરમાં પણ આયોજિત ગુજરાત ગૌરવયાત્રાનો વિરોધ થયો છે. સ્થાનિક લોકોની ભાજપ નેતાઓ સામેની નારાજગી સામે આવી હતી.
 
વાંકાનેરમાં ગૌરવયાત્રા દરમિયાન સ્થાનિક લોકોએ સાંસદ મોહન કુંડારિયા સામે નારા લગાવ્યા હતા.
 
લોકોનો વિરોધ જોતા મોહન કુંડારિયાએ સ્થાનિક લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે લોકો સાંભળવા તૈયાર ન હતા.
 
અહીં કુંડારિયા સામે મહિલાઓએ બેડાં લઈને પાણી અંગે વિરોધ કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીયમંત્રી પીયૂષ ગોયલ પણ હતા.
 
પોરબંદરમાં કૉંગ્રેસ દ્વારા ગૌરવયાત્રાનો વિરોધ
 
પોરબંદરમાં કૉંગ્રેસ દ્વારા ભાજપની આ ગૌરવયાત્રાનો વિરોધ કરાયો હતો. કૉંગ્રેસ દ્વારા કોરોનાથી પીડિત વ્યક્તિને ઓક્સિજનના બાટલા સાથે સૂતી દેખાડવામાં આવી હતી.
 
લોકોએ કોરોનાના સમયની યાદ તાજી કરાવીને ઓક્સિજનના અને ગેસના બાટલા બતાવીને વિરોધ કર્યો હતો.
 
તો મોરબીના મહેન્દ્રનગરમાં પણ યાત્રાનો વિરોધ થયો હતો. ઈડરમાં યોજાયેલી ગૌરવયાત્રામાં ભાજપના નેતા શંકર ચૌધરી પર શાહી ફેંકવાનો પ્રયાસ કરાયો હતો.
 
અર્બુદાસેનાના એક યુવક દ્વારા આ શાહી ફેંકાયાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
 
રાજકોટના જસદણમાં રવિવારે ગૌરવયાત્રા પહોંચી હતી. આ યાત્રામાં કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા અને સાંસદ મહેન્દ્ર મુંજપરા ઉપસ્થિત રહ્યા હતા.
 
યાત્રા પછી ભાજપની એક ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. જેમાં ભાજપના કાર્યાલયમાંથી કોઈ વ્યક્તિ જસદણના નાગરિકોને ફોન પર ગૌરવયાત્રામાં આવવા આમંત્રણ આપે છે. ત્યારે મતદારે કહ્યું હતું કે, "શેની ગૌરવયાત્રા? પેપરો ફૂટે છે એની?"